મને નથી લાગતું આપણામાંથી કોઈ પણ શ્રવણના નામથી
અજાણ્યું હોય. માતાપિતા પ્રત્યેનો તેનો પ્યારતો અમર થઈ
ગયો. વૃધ્ધ માતાપિતાને કાવડમાં બેસાડી જાત્રા કરાવવા
નિકળ્યો હતો. રાજા દશરથના બાણથી તેઓ વિંધાયા હતા.
વાત એ મહત્વની નથી. એતો વાત હતી રામરાજ્યના
સમયની. આજે મારે તમને કરવી છે એ વાત ૨૧મી સદીના
શ્રવણની છે.
સાવન, માતાપિતાના પ્રેમથી ભિંજાયેલો હતો. બંને જણા
૭૦ વરસ વટાવી ચૂક્યા હતા. થયું લાવને તેમને ડાકોરના
રણછોડરાયના દર્શન કરાવી આવું. અમદાવાદ પૂજ્ય મહાત્મા
ગાંધીજીના આશ્રમમા ચાલતી વિધવિધ પ્રવૃત્તિઓ તેમને બતાવું.
સૂરતથી તેમને લઈને ડાકોર પહોંચ્યો. ત્યાં મંદિરમા રાજ-
ભોગ કરાવ્યો. ડાકોરના પ્રખ્યાત દૂધના ગોટા સાથે આદુ અને
ઈલાયચી વાળી ચા પિવડાવી. થયું ચલો હવે અમ્દાવાદ જઈએ.
ગાડીમાં બેઠા, વાતાનુકૂળ ડબ્બામાં મુસાફરી કરવાની હતી.
ખૂબ ધ્યાન રાખતો હતો. અમદાવાદ આવ્યું,ગાડીમાંથી ઉતર્યા
ટેક્સીમાં સામાન મૂકાવ્યો. માતાપિતાને ચાની તલપ લાગી હતી.
સરસ મઝાની ગરમાગરમ આદુ અને મરી વાળી ચા આવી. જેવી
ચા પિવાઈ રહી કે તરતજ સાવન બોલ્યો બા તારે અને બાપુજી
તમારે ચા ના ૪ રૂપિયા આપવાના. બંને જણા સડક થઈ ગયા.
બાપુજી ખૂબ શાણા હતા. પૈસા કાઢીને આપી દીધાં. કાંઈ પણ
બોલ્યા ચાલ્યા વગર. ચૂપકીદીથી થોડી અમદાવાદની ધૂળ એક
કોથળીમાં ભરી દીધી. અમદાવાદ ફર્યા પૂજ્યબાપુનો આશ્રમ જોઈ
ખૂબ ખુશ થયા.
પાછા રેલગાડીમાં બેઠા. અમદાવાદથી ગાડી ઉપડી. નડિયાદ
આવ્યું. ચા લઈને ફેરિયો ગાડીમાં ચડ્યો. બધાને ચા પીવાનું મન
થયું. ચા લીધી બાપુજીએ પૈસા આપવા માંડ્યા, સાવન વિચારમાં
ગરકાવ થઈ ગયો. બાપુજીને કહે શામાટે તમે પૈસા કાઢો છો?
બાપુજી કહે તેં અમદાવાદમાં માંગ્યા હતા એટલે આ વખતે તારા માંગતા
પહેલાં આપું છું. સાવન માની ન શક્યો. બાપુજી કહે અંહી આવ, તેમણે
અમદાવાદની ધૂળ કોથળીમાંથી કાઢીને તેને કહ્યું આ નાનીસી ઢગલી પર
ઉભો રહે. તરતજ સાવન બોલી ઉઠ્યો બે રૂપિયા અમદાવાદની ચા ના,
બે નડિયાદના એટલે ૪રૂપિયા અને તમારા તથા બાના મળીને ૮ રૂપિયા-
——————
આ સાવન ને તેના બા બાપુજી તેના સારા જીવન માટે અમેરીકા લાવ્યા
અમેરીકાની ધરતી પર પગ મુકતાં તે બોલ્યો
બાપુજી બા હજી તમારા હાથ પગ ચાલે છે તો “અસેમ્બલી” કામ શરુ કરો જેથી રીટાયરમેંટ ભેગુ થાય.
આ થઈ આધુનિક શ્રવણની વાત.