Archive for July, 2009

ઉમંગ

July 31st, 2009

    જેવું નામ તેવી જ તેની પ્રતિભા. નખશીખ ઉમંગ છલકાતો. તેની ચાલમા તરંગ,

 તેની વાણીમા ઉમંગ, તેના નયનોમા સરગમ અને તેની અદાઓમાં અભંગ.

    એવી સુંદર ઉમંગ અને તેમાંય પાછી કાર્યદક્ષ. જ્યારે તેને પહેલી વાર મળી

 ત્યારે હું મંત્ર મુગ્ધ થઈ ગઈ હતી. તેની છબી અંતરના ખૂબ ઊંડા ખૂણામા

 સચવાઈ ગઈ હતી. ઉમંગ નામ પણ મને ખૂબ પસંદ પડ્યું હતું.  જ્યારે તેને

 ફરી મળવાનો મોકો મળ્યો ત્યારે એજ આબેહૂબ છબીની મેં કલ્પના કરી હતી.

 ઊમંગભેર આવશે અને મને જો પગે લાગવાની ચેષ્ટા કરશે તો તેને બાથમા

 ભીડવા માટે હું તત્પર હતી.

           અરે, પણ આ હું શું નિહાળી રહી છું. જાણે બે પગમા દસ દસ મણની

 બેડી ન પડી હોય. વેરવિખેર વાળ, મોઢાપર નિતરતી અસહાયતા અને રડી

 રડીને સુઝેલી બન્ને આંખડી. હું મારી આંખ પર વિશ્વાસ ન કરી શકી.  જો તેની

  માતાએ તેનો હાથ ઝાલ્યો ન હોત તો હું માનવાનો સાફ ઇન્કાર કરી બેસત

  કે આ એજ ઉમંગ છે જેને મળવા હું તરસતી હતી. જેની છબી મેં વર્ષોથી

 મનમા સંઘરી હતી.  એ સમયની વાત છે જ્યારે તે આશયના પ્યારમાં

ગળાડૂબ હતી. જીવનનો પહેલો પ્યાર તેને વર્ણવવો અતિ મુશ્કેલ છે. ઉમંગ

 અને આશય જાણે બન્નેને પ્રભુએ ખૂબ નવરાશના સમયે ઘડ્યા હતા. બન્ને

 એકબીજા માટે સર્જાયા હતા. પરિસ્થિતિ પણ એવીજ હતી કે બધી રીતે

 અનુકૂળતા સાંપડી હતી. ઉમંગ સુંદર, ભણેલી ,સુખી ખાનદાન કુટુંબની

  દિકરી અને આશય જુવાન , સોહામણો પૈસાદારનો એકનો એક દિકરો.

  ક્યાંય કશું ખૂટતું ન હતું. જન્માક્ષર મેળવ્યા, સારા નસીબે તેમાં પણ કશું

  વાંધાજનક ન હતું.  કંકોત્રી છપાઈ, લગ્ન લખાયા બન્ને પક્ષે જોરદાર તૈયારી

  ચાલતી હતી. બસ હવે તો બે દિવસની વાર હતી અને અચાનક લગ્ન બંધ

  રખાયા.  કોઈની હિંમત ચાલતી ન હતી કે કારણ જાણવાની કોશિશ કરે.

         નગારા અને ઢોલ વાગવાના બંધ થઈ ગયા. શરણાઈ રિસાઈ ગઈ,

  વાટેલી મહેંદી વાટકામા સુકાઈ ગઈ. હાર અને ગજરા ટોપલામાં જ કરમાઈ

  ગયા. જોકે લગ્નમા મારાથી રોકાવાય એવું ન હતું તેથી આ વાતની ખબર મને

  પડી નહી. હું તો એવા ભ્રમમા રાચતી હતી કે ઉમંગ અને આશય ખુબ સુંદરતાથી

  પોતાના સંસારમા ગુંથાયા હશે.

        જ્યારે બે વર્ષ પછી, ફરી મળવાનો મોકો મળ્યો ત્યારની પરિસ્થિતી કશું

  જુદું જ વર્ણવતી હતી. સામેથી આવી રહેલ ઉમંગ અને તેની મમ્મીને જોઈને

  વિમાસણમા ઉભેલી હું હલો, કહેવાનું પણ વિસરી ગઈ. ઉમંગ એકદમ નિર્લેપ

  ઉભી હતી. મારી સામે ટગર ટગર જોઈ રહી હતી. ઓળખવાનો ઠાલો પ્રયાસ

  કરી રહી. પછી તેના મમ્માએ કહ્યું એટલે ઓળખાણ પડી એવો દેખાવ કર્યો.

  જો કે મને તેમા શંકા જણાઈ હતી. હું તથા ઉમંગની મમ્મી વાતે વળગ્યા. એ

  અસહાય અબળા શું કહે.  ઉમંગના પિતાજી લગ્ન મુલત્વી રહ્યા એ સમાચાર

  સાંભળી આ ફાની દુનિયા છોડી વિદાય થયા.  બીજી બે નાની બહેનો હતી

  તેથી ઉમંગને તેની મમ્મીએ બીજવર સાથે પરણાવી.  હાય રે કમનસીબ

  કન્યા, હવે તને કોણ પરણે?  ઉમંગ માટે આ બધું સહેવું આસન ન નિવડતા

  તે બિમારીનો ભોગ થઈ પડી.  તેના પતિ ને બે બાળકો હતા, દવાદારૂ પાછળ

  પૈસા ખરચવાનો તેને વાંધો ન હતો. પણ ઉમંગે પોતાની જાતને અલગ કરી

  લીધી હતી.  ઉમંગને સ્થાને ઉદાસીનું સામ્રાજ્ય પથરાયું હતું.   તે કરમાઈ

  ગઈ હતી. જીંદગી તેને ખૂબ નિરસ જણાતી હતી. પહેલો પ્યાર ભૂલી શકતી

   ન હતી. લગ્ન થયા હતા તેને મંજૂરી આપી શકતી ન હતી.

        અસંમજસમા પડેલી હું આનું નિરાકરણ કેવી રીતે લાવું તેના વિચારમા

  ગરકાવ થઈ ગઈ. ઉમંગની માને ઢાઢસ બંધાવી ફરી મળવાનો વાયદો આપી

  મારી મંઝીલ તરફ  પગ ઉપાડ્યા——–

વિચારનો વેગ

July 31st, 2009

લાંબો કે ટૂંકો રસ્તો લેવાને બદલે અનુકૂળ રસ્તો લેવાની ટેવ

જીવનમા પ્રગતિ અપાવશે. આપણામા કહેવત છે” લાંબા સાથે

ટૂંકો જાય મુઓ નહીને માંદો થાય.”

હિંડોળે શ્રીનાથજી

July 30th, 2009

ઝુલે છે હિંડોળે આજ શ્રીજી હિંડોળે ઝુલે

વનરાતે વનમા શ્રીજીનો હિંડોળો

ગગનને ચૂમે છે આજ         શ્રીજી હિંડોળે—-

મોગરાની કળીઓથી સજ્યો હિંડોળો

 ગુલાબની ફોરમે ફોરાય        શ્રીજી હિંડોળે—-

 ગોપગોપીઓની સગ કુદરતને ખોળે

 યમુનામહારાણી સંગાથ        શ્રીજી હિંડોળે—-

 શ્રીમહાપ્રભુજી, ગોકુલનાથ હિંચે હિંડોળો

  વૈષ્ણવોનો હરખ નવ માય     શ્રીજી હિંડોળે—–

 દર્શન કરી આંખડી પાવન થઈ

 ધન્ય થયો અવતાર                શ્રીજી હિંડોળે—-

વેદ અને ગીતામા વારંવાર જોવા મળતા——–

July 29th, 2009
 
      ક        કર્મ, કર્તા, કલ્યાણ                                          ત         તપ, તત્વ તમસ
      ખ        ખમવું, ખં , ખેવના                                         થ         સ્થિર, સ્થિત
      ગ        ગુરૂ, ગોવિંદ, ગુહ્ય                                          દ         દાન,  દયા,દેહ.
      ઘ        ઘનિષ્ઠ, ઘડપણ                                            ધ         ધર્મ, ધિરજ
      ચ        ચિત્ત, ચંદન, ચિંતન ,ચંચલ                             ન          નિત્ય,  નિયમ                         
      છ        છેદન                                                         પ          પુણ્ય, પાપ, પરબ્રહ્મ
      જ        જાપ,  જીજ્ઞાસુ,  જન્મ                                     ફ          ફળાસક્તિ ફલશ્રુતિ
      ઝ        ઝંકાર,                                                       બ         બંધન, બુધ્ધિ
      ટ         ટુંકાણ, ટહુકો, ટટ્ટાર                                        ભ         ભજન, ભક્તિ
      ઠ          ઠાન લેવું                                                   મ          મૌન,માયા,મુક્તિ   
      ડ          ડગ, ડગવું                                                 ય           યજ્ઞ  યમ
      ઢ          ઢેફું, ઢગ                                                    ર          રાજસિક,રમણ
      ણ         ગણપતિ  ગણાધીશ                                      લ          લય, લગન       
      વ         વિષય, વેદ,વિભુ                                          સ          સનાતન, સામર્થ્ય   સત્વ                   
      શ        શાંતિ, શિષ્ય                                                 હ         હિંદુ, હવન
      ળ        પળ,  વિપળ                                                ક્ષ         ક્ષમા, ક્ષણ   
      જ્ઞ       જ્ઞાન   જ્ઞાતા   
                      
       

હસવાની મનાઈ છે

July 29th, 2009

પ્રસંગ   પહેલો.

ઉનાળાની રજાઓમા મારા પૌત્ર્ની સાથે વ્યાપાર (મોનોપોલી્) ની રમત રમતા

દાદીમાઃ મારે હોટલ બનાવવી છે.

પૌત્રઃ    ૧૨૫૦ ડોલર મા.

દાદીમાઃ  ઓ.કે.

બીજાદાવમા

દાદીમાઃ અરે તુ મારી હોટલ ઉપર આવ્યો, ભાડુ ૧૧૦૦ ડોલર.

પૌત્રઃ  દાદીમા તમે તમારા પૌત્ર પાસેથી ભાડુ લેશો?

( દાદીમા ચૂપ થઈ ગયા, નજર નીચી ઢાળી દીધી.)

પ્રસંગ બીજો. તે દિવસે  રમત પુરી થઈ ન હતી.

બીજે દિવસે—-

દાદીમાઃ  અરે બેટ હું ચાન્સ ઉપાર આવી.

બેટા મારું કાર્ડ ખેંચને.

પૌત્રઃ  દાદીમા જેલ ભેગા થાવ.

( કાર્ડમા લખ્યા પ્રમાણે)

ખડખડાટ હસવાનો અવાજ.

તાંડવ

July 28th, 2009

   આભ  ફાટ્યું  ત્યાં  થીગડું  ક્યાં  દેવાય

  તડાતડ  કરાં  પડે ત્યાં છત્રી શી ખોલાય

  તીર ઝડપે વાતા વાયુના સુસવાટા સુણાય  

  લળી લળીને ધરાને  ચૂમતા વૃક્ષો  જણાય

  ગગને ગડગડાટ કરતાં ઘટોટપ વાદળ ઘેરાય

  મારકણી વિજળીના ચમકારે આભે ઉજાસ ફેલાય

  વર્ષાના તાંડવમા નહાતી ધરતી મંદ મુસ્કાય

  પ્રિતમની બાંહોમા માનુની અંગડાઈ લેતી સમાય

  માળામા લપાયેલ પંખીડા ધ્યાન મુદ્રામા જણાય

  કુદરત કોપે ત્યારે પામર માનવ તું  અસહાય

જ્ઞાનયોગ

July 20th, 2009

    કૃષ્ણ ભગવાન પુકારીને કહે છે કે મારા બધા ભક્તોમા જ્ઞાની ભક્ત

મને સહુથી વહાલો છે. કૌરવો ખૂબજ લોભી હતા. સોયની અણી પર ટકે

એટલી જમીન પણ પાંડાવોને આપવા રાજી ન હતા. તેથી જતો કુટુંબીજનો

વચ્ચે મહાભારતનુ યુધ્ધ જામ્યું.

  જ્ઞાનયોગનો માર્ગ સર કરવા માટે શ્રવણ, મનન, નિધિધ્યાસન, જ્ઞાન,

 જીવન મુક્તિ, સિધ્ધ સ્થિતિ અને અંતે વિદેહ મુક્તિ એ બધા પગથિયા

 પરથી ગુજરવુ પડે. મોક્ષની પ્રાપ્તિ થાય.

      સફળતા પામવા માટે જ્ઞાન મેળવવા માટે પ્રશ્ન પૂછવો આવશ્યક

    છે. શ્રવણ કરવું ,સત્યને પામવું અને જ્ઞાનની પ્રાપ્તિ કરવી.

  મનન કરવું. આત્મા વિશે સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરવું. આત્મા કદી મરતો

  નથી, કદી જન્મ લેતો નથી, કદી પલળતો નથી, તે શાશ્વત છે. શસ્ત્ર તેનો

  નાશ કરી શકતા નથી, અગ્નિ તેને બાળી શક્તો નથી, આત્મા સર્વત્ર પ્રવર્તે

  છે. તે અમર છે.

     આત્મનિરિક્ષણ દ્વારા તેને જાણવો પડે છે. નિધિધ્યાસન દ્વારા ત્રણે ગુણોથી

  તે પર છે તે સમજાય છે. સત્વ, રજસ અને તમસ નો ત્રિવેણી સંગમ દરેક

   વ્યક્તિમા હોય છે. હા, તેની માત્રા નું પ્રમાણ અલગ અલગ હોવાનું.

   માનવ સર્વે કામેછાથી પર થઈ જાય છે ત્યારે  તેને   આત્મ સંતોષ

  પ્રાપ્ત થાય છે. તેની ઈચ્છાઓ પર અંકુશ આવે છે. તનું હ્ર્દય

  નિર્મળ બને છે.

     જ્ઞાન પ્રાપ્તિ થાય છે જ્યારે તે સ્વની સાથે સંતુષ્ટ હોય છે.

સારા નરસાની તેને જાણ રહે છે. વસ્તુ અથવા તો મોહના ફંદામા

 તે ફસાતો નથી. આસક્તિ, ઈચ્છા, મોહ અને ક્રોધ તેને ચલાયમાન

 કરી શકતા નથી.

    દ્વંદ્વથી વિમુક્તિ પામે છે. રાગ દ્વેષ અગર સુખ દુઃખથી તે પર થઈ

 ગયો હોય છે.  ડર અથવા તો હરખ શોક તેની નજદીક સરી શકતા નથી.

 વિવેક બુધ્ધિ સતત સજાગ હોય છે. જીવન મુક્તિનું આ પગથિયું ખૂબ

 સાચવીને પ્રાપ્ત થયા પછી તે સિધ્ધ સ્થિતિને મેળવવા ભાગ્યશાળી

  બને છે.

     તેમાં તે હંમેશા નિજાનંદમા મગ્ન રહે છે. કોઈ પણ જાતનું દુઃખ

  યા સુખ તેને ચલાયમાન કરવામા નાકામયાબ રહે છે. સંપૂર્ણ રીતે

  જગતના સર્વ બંધનોથી મુક્તિ અનુભવે છે. સિધ્ધ સ્થિતિને પામ્યા

  પછી મોક્ષના દ્વાર તેના માટે ખૂલી જાય છે.

       દેહના સર્વ દરવાજા બંધ હોય, સમતા ધારણ કરી હોય, જગતના

  કોઈ પ્રલોભનો સાથે તેને કોઈ લેવા દેવા રહેતી નથી. બસ તેનું સકલ

   અસ્તિત્વ કૃષ્ણમય બની જાય. આનંદ, પરમાનંદમા તે સમાઈ જાય.

      જ્ઞાનીભક્ત તેથીજતો કૃષ્ણ ને ખૂબ પ્રિય છે.  જ્ઞાની અહંકારી ન બને

 તેનું ધ્યાન રહે. તેનામાં ભક્ત્ના લક્ષણ પણ સમાયેલા હોય. તે કર્મમા

 પણ પ્રવૃત્ત હોય અને તેની ઈચ્છાશક્તિ પણ મજબૂત હોય.

      ચરેય માર્ગ એકબીજા સાથે સંકળાયેલા છે તે યાદ રહેવું

 અગત્યનું છે,

શું કહેવું?

July 20th, 2009

  ખબર ખુશીના છે કે પછી વ્યથાના એ કહેવું મુશ્કેલ છે.  શું કહેવું તે

સમઝાતું નથી. કિંતુ આજકાલ ચારેકોર આ જ સમાચાર સાંભળવામા

 આવે છે.  ફલાણાની દિકરી એના જૂના પ્રેમીની સાથે ભાગી ગઈ.

ફલાણાનો દિકરો તેની સાથે કામ કરતી છોકરીના પ્રેમમા પડ્યો અને

બૈરી છોકરાને રઝળાવી ફરાર થઈ ગયો. અકસ્માતમા રિબાતો વર

બે મહિનાની ટૂંકી માંદગી પછી મૃત્યુ પામ્યો. તો કોઈની પત્ની

 કેન્સરમા ચાલી ગઈ.

       હવે આવા ટાંકણે હજુતો ઘા તાજો હોય ત્યાં મિત્ર મંડળ અને કહેવાતા

સગાવહાલા માથુ ખાય, ભાઈ આતો ૨૧મી સદી છે. જીંદગી ખૂબ લાંબી છે.

એકલા કેમ જીવાશે?  જાણે એમને પુરું ન કરવું પડતું હોય. માણસના દિલમાં

લાગણી નામની કોઈ ચીજ વશે છે ખરી? તેનું હ્રદય ધબકે છે ખરું? શાકાજે

માનવ હમદર્દીના નામે બીજાના ઘાવ ઉપર મીઠું અને મરચું ભભરાવતો

હશે? ખબર નથી તેથી તેનો અહં કેવી રીતે પોષાય છે.

     ક્યાં ગઈ આપણી સંસકૃતિ અને માણસ માણસ પ્રત્યેની સદભાવના.

  સહાનુભુતિના બે શબ્દ તો બાજુએ રહ્યા. પડતાને પાટુ શા કાજે મારવું.

નવી હવા, અમેરિકાનો ઢોળ આપણને કઈ દિશા તરફ લઈ જઈ રહ્યો છે.

ડોલરની બોલબાલા અને નગદ નારાયણનું સામ્રાજ્ય ચરેકોર વરતાય છે.

નાનપણમા જોયેલા એક નાટકનો સંવાદ યાદ આવે છે” આ તું નથી

બોલતો તારો પૈસો બોલે છે.” જો  હું ભૂલતી ન હોંઉ તો નાટકનું નામ

 હતું ‘પૈસો બોલે છે’.

   હવે કરીએ વાત આવા વિછડાયેલા જુવાન, આધેડ કે પુખ્ત વયના

લોકોની. શું તેમને જીવવાનો હક્ક નથી? ત્રીજી યા ત્રાહિત વ્યક્તિને કાંઈ

 પણ બોલવાનો શો અધિકાર છે? વણમાગી સલાહ શામાટે લોકોને આપવી

 ગમતી હશે? હા, માતા પિતા વિચારીને બાળકોનું ભલુ ચાહે તે અલગ

 વાત છે.

         આજના જમાનામા જુવાનિયાઓ ૨૫, ૩૦ કે ૩૫ વર્ષ સુધી લગ્ન

 માટે તૈયાર નથી હોતા. યા તો મનગમતા સાથી મેળવવા માટે તકલીફ

 ભોગવતા હોય છે. તે સમયે પ્યાર કરીને યા તો પસંદગીથી પરણેલા

 છૂટા પડે છે. બાળકોના ભવિષ્યનો વિચાર સરખો તેમને આવતો નથી?

    જ્યારે કુદરત તેમને અલગ કરે છે ત્યારે માનવના હાથ હેંઠા પડે છે .

 તેના લેણદેણ ખતમ થયા હોય છે. તે સમયે ઉંમર કે સ્થળ કશાની

 વિસાત હોતી નથી. હા આ મુદ્દો ખૂબ નાજૂક છે. સવાર હોય કે સાંજ

 ઘરમા હોઈએ કે નોકરી પર બધે આ જ વાતની ગરમા ગરમ ચર્ચા

 થતી હોય છે.

       સહુને પોતાની રીતે જીવવાનો હક્ક છે, આ ૨૧મી સદીમા તો ખાસ.

  વિછડેલાંના હૈયા ઘવાયેલા હોય છે. કોઈની સહાય ન કરી શકીએ તો

 વાંધો નહી. તેને દુઃખ પહોંચાડવાનૉ ઈજારો પ્રભુએ આપણને નથી આપ્યો.

 માનવ તરીકે આપણે જન્મ લીધો છે કિંતુ માનવીની પદવી દરેકે પ્રયત્ન

 કરીને પામવી પડે છે. સુખ અને દુઃખ સિક્કાની બે બાજુ છે. એક જણ સુખી

 હોય તો અવશ્ય યાદ રહે જરૂર બીજું કોઈ દુઃખ ને પામ્યું હશે. 

      જ્યારે પણ પ્રસંગ સાંપડે અને આવી વ્યક્તિની મુલાકાત થાય ત્યારે

 તેના પેગડામા પોતાના પગ નાખી જોજો. જરૂરત હોયતો ‘બે શબ્દ’ બોલી

 તે શાતા પામે તેવો પ્રયત્ન આદરજો. નહીં તો ‘મૌનં પરં ભૂષણમ’ અખત્યાર

 કરજો.

યોગ – કર્મયોગ

July 15th, 2009

    કર્મ, ખૂબ જ સાધારણ કિંતુ પ્રચલિત શબ્દ છે. કોઈ પણ વ્યક્તિ કર્મ કર્યા

વગર એક પળ પણ ન રહી શકે. પ્રકૃતિના ગુણોથી સંકળાયેલ દરેક વ્યક્તિ

કર્મ અનાયાસે કરતી જો હોય છે. કૃષ્ણ ભગવાન ગીતામા કહે છે કે “માનવ

કર્મ ન કરવાથી યા તેમા નિષક્રીયતાથી (તેનો ત્યાગ કરવાથી) સંપૂર્ણ સિધ્ધિને

મેળવી શકતો નથી.

   કર્મયોગમા આગળ વધવાના પગથિયા છે તમસ, રાજસ, સત્વ, ગુણાતીત

અને અંતે સિધ્ધિ. મોક્ષ જેનું અંતિમ ચરણ છે.

      મૂઢ વ્યક્તિ કર્મ ન કરે પણ વિચારોથી તેમા ઉલઝ્યો રહે તેને શું ? તામસિક

વ્યક્તિનું આચરણ કાંઈક આવું જ જણાશે. જે કોઈ પણ કાર્ય વગર વિચારે શરૂતો

કરે પણ તેને પરિણામની અથવા માર્ગમા આવતી મુસ્કેલીઓની કોઈ ગતાગમ

ન હોય. જે કાર્ય કરતા કદાચ ઘાયલ થવાય યા ખોટ પણ અનુભવવી પડે. તે

વ્યક્તિ કદાચ કાર્ય કરવાની ક્ષમતા પણ ન ધરાવતી હોય.  

      બીજું ચરણ છે રાજસિક જે વ્યક્તિમા ખૂબજ ધગશ અને ઉત્સાહ ભર્યા હોય. તે

કોઈ પણ ભોગે તે કરીને જ ઝંપે. જે કાર્ય સાથે વ્ય્ક્તિનો અહંકાર સંકળાયેલો હોય. કર્મ

પ્રત્યે લગાવ હોય. કર્મ પાછળ આંધળી દોટ મૂકે તેની રાહમા આવતા પ્રતિકારને પણ

ગણકારે નહી.

     જ્યારે સાત્વિક ગુણ ધરાવતો માનવી બધી બાજુથી પ્રશ્નની છણાવટ કરે. તેના ફાયદા

 યા ગેરફાયદાનો અભ્યાસ કરે. જે કાર્યમા તેનો સ્વાર્થ ન છુપાયેલો હોય તેનો ખ્યાલ રાખે. 

તેમા પ્યારકે તિરસ્કારની ગંધ પણ ન છુપાયેલી હોય. નિઃસ્વાર્થપણે તે કર્મ આચરતો હોય.

    ગીતાનો અતિપ્રચલિત અને સર્વજનોને વિદિત શ્લોક છે. 

                    कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन

                    मा कर्मफलहेतूर्भूमा तेसङग्स्त्वकर्मणि

    કર્મ શું છે અને અકર્મ શું છે તેનો ભેદ જાણવો આવશ્યક છે. કયું કર્મ હાનિ કરતા છે

 તે જાણવું આવશ્યક છે. કર્મ જારી રાખવું ફાયદા યા નુક્શાનની પરવા કર્યા વગર. યોગમા

સ્થાપિત મનવાળી વ્યક્તિ ચિત્તની સમતા જાળવી કર્મ અવિરત ચાલુજ રાખે. જે વ્યક્તિ કર્મમા

અકર્મ અને અકર્મમા કર્મને ભાળે. જેને ખબર હોય અને કર્મ ફળની આશાનો મોહ ન રાખે.

 કર્મ વહેલું કે મોડુ ફળ આપેજ છે એ કુદરતનો નિયમ છે. કિંતુ કર્મ ફળમા તેની આસક્તિ

 ન હોય.

     જ્યારે ગુણાતીત વ્ય્ક્તિ સર્વથી પર હોય. તેને ખબર હોય  કે કમેની ગતિ ગહન છે.

 તેના કર્મમા હંમેશા કુશળતાની ઝાંખી થશે. તેનામા સમત્વ જણાશે. સફળતા યા નિષ્ફળતા

 તેને ડગાવી નહી શકે. કર્મયોગી તો બસ તેનું કર્ય ક્રતો રહેશે. એક વાત હું અંહી જણાવીશકે

 યોગના ચારેય રસ્તા એકબીજાની સાથે સંકળાયેલા છે. કમયોગી હોય તે ભક્ત પણ હોઈ શકે

વિદ્વતામા તેનો જોટો પણ ન જડે. કોઈ પણ રસ્તો અપનાવૉ,  કોઈ પણ રીતને આચરો. અંતે જેમ

 દરેક નદી સમુદ્રને મળે છે તેમ યોગના બધા રસ્તા મોક્ષના દરવાજાને જ ખટખટાવે છે.

           મોક્ષની પ્રાપ્તિ એટલે જ્યાં પરમ શાંતિનો અનુભવ થાય. જ્યાં સત્તા, જ્ઞાન, સ્વતંત્રતા

   નો ત્રિવેણી સંગમ લહેરાય. બસ પમાનંદનું સામ્રાજ્ય જ્યાં ફેલાયેલું હોય. જ્યારે સમુદ્રને નદીઓ

   આવીને મળે છે ત્યારેતે જરા પણ વિચલિત થતો નથી. નદી ખળખળ કરતી વહેતી તેના ઉદરમા

 સમાઈ જાય છે.   પરમ શાંતિનો અનુભવ કરે છે.

      તો માણો કર્મયોગની ભાવના અને તેનાથી થતા અનુભવિને.

યોગ – ભક્તિયોગ

July 14th, 2009

   નામ ઉપરથી ખ્યાલ આવી જાય કે આ રસ્તો કેટલો સરળ છે. કૃષ્ણ ભગવાને

શ્રીમદ ભગવદ ગીતામા કહ્યું છે કે  જ્ઞાની ભક્ત મને ખૂબ વહાલો છે. શ્રીકૃષ્ણ

કહે છે ચાર જાતના લોકો મને ભજે છે. આર્ત, (એટલેકે દુખી)  જિજ્ઞાસુ, જ્ઞાની

અને અર્થાર્થી. (પૈસા માટે)

    ભક્તિ માર્ગનો રસ્તો ભલે સરળ લાગે કિંતુ એક પછી એક પગથિયા સર

કરવા પડે. આસુરી, દૈવી, પ્રેમ, ભક્તિ, સગુણ સાક્ષાત્કાર, નિર્ગુણ સમાધિ

અને મોક્ષ. પ્રભુની કૃપા તો જુઓ તે મુંગાને વાચા આપે છે. લંગડાને

પર્વત ચઢાવી શકવા સામર્થ્યવાન છે. જો તે કૃપા કરે તો સર્વત્ર આનંદ

મંગલ છવાઈ જાય.

  આસુરિ સંપત્તિમા દંભ, દર્પ, અભિમાન, ક્રોધ અને અજ્ઞાન નો સમાવેશ

થાય. દૈવી સંપત્તિ સાથે તેજ ,ક્ષમા, ધૃતિ, શૌચ અને અદ્રોહ સંકળાયેલા છે.

ગીતાના બારમા અધ્યાયમા શ્રીકૃષ્ણ કહે છે. અર્જુન તું તારુ મન મારામા

સ્થિર કર. તારા વિચાર મને સમર્પિત કર. બસ તારો બધો ભાર હું વહન

કરીશ. કાંઇ શંકા કરીશ નહી. તું નિષ્ફિકર થઈ જા.

    પ્રેમ, મારામા આસક્તિ અને સાથે સાથે કુરબાનીની ભાવના. સ્વાર્થ

વગરનો પ્રેમ, અપેક્ષા વિનાનો પ્રેમ. નિર્મળ પ્રેમ એ ભક્તનું મહત્વનું

લક્ષણ છે. ભક્તિમા સમાયેલ છે, સરળ હ્રદય, શરણાગતિની ભાવના

પ્રેમ પ્રભુને માટે . ઉત્કંઠા તેના દર્શનને કાજે.

   સગુણ સાક્ષાત્કાર અને પ્રભુના દિવ્ય દર્શન. વિરાટ સ્વરૂપ નિહાળવા

જોઈએ દિવ્ય ચક્ષુ. જે સ્વરૂપમા શ્રધ્ધા હોય તેના સાંગોપાંગ દર્શન. 

  નિર્ગુણ સમાધિ જેમા ભલે તેનો કોઈ આકાર ન હોય. બસ બ્ર્હમનનું

 ચિંતન. તેમા એકાકાર થઈ જવું તે. ન દુખનું અસ્તિત્વ કે ન સુખની

આકાંક્ષા. ન કોઈ ઇચ્છા ન આપેશા. બસ બધા ધર્મ ત્યજી શ્રીકૃષનું

શરણું સ્વિકારવું. જો આમ શ્રીકૃષ્ણમા આસક્ત થવાય તો અંત કાળે

તેમને પમાય.

   આખું બ્ર્હમાંડ, જેમા સમગ્ર વિશ્વનો સમાવેશ થયો છે. અંતે મોક્ષ

પામવનો રસ્તો સામે ખુલી જશે. મોક્ષ એટલે સ્વતંત્રતા, શાંતિ,

શક્તિ અને જ્ઞાન. સંપૂર્ણ શાતિ ,પરમાનંદ  તુરિય અવસ્થા.

   આ છે ભક્તિયોગ હ્રદયના સર્વે બંધનોને તોડી માત્ર લાગણીના

પ્રવાહમા વહેતો ઈશ્વરને પામવાનો એક માત્ર માર્ગ.

Powered By Indic IME