શાન, ઘરે જઈ રહી હતી. સ્કૂટરની ઝડપ તો સરકારના કાયદા મુજબ
હતી. કિંતુ મગજમા ઉઠેલા વિચારોની ઝડપ પર તેનો કોઈ કાબુ ન હતો.
ભણવામા મશગુલ રહેતી શાનના વિચારો ડહોળાઈ જતા અને તેને પાછા
ઠેકાણે લાવવા શાનને ખૂબ પ્રયત્ન કરવો પડતો. “શું દિકરી થઈને અવતરવું
એ ગુન્હો છે?” એ સળગતા પ્રશ્નએ તેના મગજમા આકાર લેવા માંડ્યો હતો.
જો કે તે વિચાર સાથે શાન જરા પણ સહમત ન હતી. હા તેની આજુબાજુ
બની રહેલા પ્રસંગો કાંઈ જુદુ જ ચિત્ર ખડું કરતા હતા. સંજોગોની સામે
અટલ ઉભા રહી તેમાંથી માર્ગ કાઢવાની શાનની વિચિક્ષણતા દાદ માગી
લે તેવી રહી છે.
ઘરનું સુંદર સંસ્કાર ભર્યું વાતાવરણ, માતા,પિતા અને ભાઈલાનો પ્યાર
શાનને દિવસે દિવસે મજબૂત બનાવતા. તેના આત્મવિશ્વાસને પુષ્ટિ મળતી
અને દક્ષતાથી કાર્ય કરી શક્તી. ૨૧મી સદીની શાન વિચારી રહી હતી કે મારા
ભારત દેશની જે આન બાન હતી તે કઈ રીતે પાછી લાવી શકાય. બહેન, દિકરી
પર થતા અત્યાચાર માટે સહુની આંખો ખોલવાનો નુસ્ખો કયો છે. સ્ત્રી જન્મદાત્રી
તેના પર અત્યાચાર તેનું મન કબૂલ કરવા તૈયાર ન હતું.
સ્ત્રીને માત્ર ‘ઉપભોગનું’ સાધન ગણનાર વ્યક્તિ પર તેને ઘૃણાને બદલે દયા
આવતી. સ્ત્રી આદર, સમ્માનની હકદાર છે. તેના થકી તો ઘર,સમાજ અને દેશ
ઉજળૉ છે. સ્ત્રી અને પુરુષ જીવન રથના પૈડાં છે. બંને એક ધરીને વળગી સ્વતંત્ર
રીતે ગોળ ફરી રહ્યા છે. તેમાં કોઈ ઉંચુ નથી કોઈ નીચું નથી. દરેકની કાર્યક્ષમતા
અલગ છે. બંનેના કામની કોઈ લક્ષમણ રેખા નથી. અરસ પરસ સમજીને, ખભે
ખભા મિલાવીને સંસાર રથ સુગમતા પૂર્વક ચલાવે છે.
એવું કયું તત્વ છે જે સ્ત્રીમા હોવાને કારણે તેની અવહેલના સમાજ કરે છે.
એને તત્વ કહેવું એના કરતા દ્રષ્ટિ વધારે યોગ્ય શબ્દ છે. પુરૂષનું પુરૂષત્વ હંમેશા
તેની આડે આવ્યું છે. કિંતુ પુરૂષ એ કબૂલ કરવા તૈયાર નથી કે ‘સ્ત્રી’ના સહયોગ વગર
તે અધુરો છે. તેવું સ્ત્રી માટે પણ કહી શકાય. બંને એકબીજાના પૂરક છે. તો પછી આ
સળગતો પ્રશ્ન શામાટે? દહેજ એ એક એવી બલા છે જે સમાજમા કેન્સરની માફક
ફેલાયો છે. જેનો ઉપાય હજુ સુધી પામ્યા નથી. શાનનું મગજ ઘણી વાર બધિર થઈ
જતું. આમતો તે કુમળી કન્યા છે અને તેથીજ તો સમાજનું આવું પાશવી વલણ તેની
સમજમા આવતું નહી. તે વ્યાકુળ થતી ભલું થજો કે તેના વિચારોમાં ન તો મલિનતા
હતી કે ન કોઈ પૂર્વગ્રહ.
શાન ના માતાપિતા ખૂબ કાળજી પૂર્વક તેનું અવલોકન કરી તેને સહાયરૂપ થતા.
શાન કોઈ પણ સમસ્યાનો પાર ન પામી શકતી ત્યારે વિના સંકોચે તેમની પાસે પહોંચી
શાતા પામતી. વિચારોમા ગુંથાયેલી શાન ક્યારે નિંદ્રા દેવીને શરણે સમર્પિત થઈ તેનો
તેને ખ્યાલ પણ ન રહ્યો. શાનના કમરામા પ્રકાશ જોઈ તેના પિતાએ ડોકિયું કર્યું અને ધીરેથી
સરકી બત્તી બુઝાવી દરવાજો બંધ કર્યો.—–