રોજ સવારથી સાંજ સુધી એક જ વાત. કમપ્યુટર દ્વારા જિવન ઘણું
સરળ થઈ ગયું છે. દુનિયા દિવસે દિવસે નાની થતી જાય છે. અરે
પણ જો ઈલેક્ટ્રીસિટી ખોરવાઈ જાય તો? યા તો બેટરીથી ચાલતું
બેટરીનો પાવર ખતમ થઈ જાય તો?
મને લાગે છે આખી દુનિયાનો કારભાર ખોરંભે ચડી જાય. ત્યારે
જગત નિયંતા યાદ આવે. જેણે આપણને જન્મ લેતાંની સાથે ‘મગજ’
નામના કમપ્યુટરની બક્ષીસ વણમાગ્યે આપી છે. નથી તેને જરૂર
ઈલેકટ્રીસિટીની કે બેટરીની. જે ચોવીસ કલાક અવિરત ચાલ્યા કરે છે.
તેમાં ગમે તેટલો ‘ડેટા’ ભરી શકાય છે. જૂની યાદો મન ફાવે ત્યારે
તાજી કરી શકાય છે કે’ડીલીટ’ પણ કરી શકાય છે. કોઈ પણ યાદ
‘ઈરેઝ’ કરી ‘રીસાઈકલ’ બિનમાં મૂકી શકાય છે. તેના ‘ઇનપુટ’
અને ‘આઊટપુટ’ પર સંપુર્ણ કાબૂ આપણાં હાથમાં છે.
કમપ્યુટરની પ્રગતિ ઉપર ઇતરાતો માનવ ‘જગતના તાત’નો
આભાર માનવો ન ભૂલે. કે જેને પ્રતાપે, જેના અર્પેલા મગજ દ્વારા
‘જ’ તેણે આ કમપ્યુટર બનાવ્યું છે. એ તો એક ‘બુધ્ધુ’ યંત્ર છે.
તેને ચલાવનાર કુદરતની અર્પેલી મહાન શક્તિ નો પ્રતાપ છે.