જીવનના બાગમાં પ્યારનુ ફૂલ ભગ્યશાળીને ત્યાં જોવા મળે છે. હા, બગિચામાં
ફૂલો ઘણા ઉગે છે. વસંત આવે પ્રતિ વર્ષ ઉગે છે. ખીલી ઉઠે છે અને પાનખરમાં
વિદાય થાય છે. હા, બીજા વર્ષે ફરી મળશે તેનો કોલ આપે છે. અરે ફૂલોના
શોખીન જીવડા નવા નવા ફૂલો બાગમાં રોપી અખતરા પણ કરે છે. ઘણી વખત
પરદેશથી મંગાવી બગીચાની શોભામાં અભિવૃધ્ધિ કરે છે. એથી આગળ વધીને
મિત્ર મંડળમાં પોતાના બગિચાના બણગા ફૂંકે છે.
પ્યારનું ફૂલ એક વાર ઉગે છે. ઉગીને પ્રેમભરી માવજતે ખીલે છે. પછી કરમાવાનું
નામ નથી લેતું.હવા, પાણી, વર્ષો, ઋતુ કે કાળની તેના પર અસર થતી નથી.જીવન
પર્યંત તે મહેક્યા કરે છે, ચહેક્યા કરે છે. પ્યારનું મધુરું સંગીત સુણાવ્યા કરે છે. તેની
સુહાની ખુશ્બુ ફેલાવે છે. જો પ્યારનું ફૂલ કરમાય તો સમજવું ‘પ્યારમાં’કાંઈક કમી હતી.
દાનતમાં ખોટ હતી.
વારંવાર ઉગતા પ્યારના ફૂલને શું કહીશું? ‘કાગળનું ફૂલ’ જે નથી કરમાતું કે નથી
સુગંધ ફેલાવતું. સ્પર્શ પામી નથી લજામણીની માફક શરમાતું. જ્યારે જુઓ ત્યારે એક
સરખું લાગતું. ન પરવા તેને હ્રદયની લાગણીની કે પ્યારભરી નજરની. ટાઢ, તડકાની
તેને કોઈ અસર નહી. સમય અને કાળના બંધનથી પર. ક્ષણ ભર કદાચ પહેલી નજરે
આકર્ષિત કરે. હકિકત નો પર્દાફાશ થાય ત્યારે નિરાશા સાંપડે.
વફા, બેવફામાં પરિણમે ત્યારે પ્યારનું ફૂલ વસંતમાં પણ કરમાઈને ખરી પડે. પ્યારના
ફૂલની માવજત માનો તો ખૂબ કઠીન છે અને સ્વિકારો તો સહજ છે. પ્યારના ફૂલની દેખરેખ
બન્ને પક્ષે સહજ બને તો તે ફૂલ મઘમઘી ઊઠે. ફૂલની સંભાળ દાદ માગી લે છે. જીવનમા
એવો પણ વળાંક આવે માળીની હાજરી ન વરતાય અને છતાંય તે મઘમઘી રહે.
બસ સદાય પ્યારની વસંત વરતાય અને તેની હસ્તી ચીરકાળ રહે.
પ્યારનું ફૂલ
October 31st, 2007 by pravinash Leave a reply »
Advertisement