આ શબ્દથી સહુ પરિચિત છીએ. હંમેશા સાંભળતા આવ્યા છીએકે
આ દુનિયામા સગા વહાલા નથી અને જે વહાલા હોય છે તે સગા નથી.
કેટલો બધો વિરોધાભાસ છે. કડવું છે છતા પણ સત્ય છે. નહી, નહી તો
૯૯.૯૯ ૦/૦ લોકો આ સાથે સહમત થતા હશે. કિંતુ અંહી એક વસ્તુ
જરૂર કહીશ કે ‘સગા આપણને જન્મતાની સાથે પ્રાપ્ત થતા હોય છે,
જ્યારે વહાલા સંજોગો મેળવી આપે છે.
ઘણીવાર પ્રશ્ન ઉઠે છે આવું કેમ બનતું હશે.આ પરિસ્થિતિ ઘણો
વિચાર તથા મનોમંથન માગી લે છે.ચાલો ત્યારે તેનું વિશ્લેષણ કરી
જોઈએ. સગા સહુ પ્રથમ તો જન્મતાની સાથે સંકળાયેલા હોય છે.
જેમા સહુ પ્રથમ આવે માતા અને પિતા. કોઈ દાવા સાથે નહી કહી
શકે કે મને માતા પિતા ચુંટવાનો અધિકાર છે. માનો યા ન માનો એ
હક્ક માત્ર સર્જનહારનો છે. તેજ પ્રમાણે ભાઈ બહેન, કાકા, મામા,
માસી, ફોઈ, દાદા, દાદી, નાના, નાની વિગેરે. મારી માતા ,
કોલેજ નથી ગઈ કે મારા પિતાજી વકીલ યા ડોક્ટર નથી.કેવી ક્ષુલ્લક
વાત.
હવે ઇશ્વર કૃપાએ આપણે જેમને પામ્યા છીએ તેને ખુલ્લે દિલે અપનાવતા
શીખો. જો જીવનમા શાંતિ અને સુમેળ ચાહતા હો તો. જન્મથી મૃત્યુ પર્યંત
તેઓજ તમારી સાથે રહેવાના. ગમે તેટલા હોંશિયાર તમે હો પણ સત્ય તો
આખરે સત્યજ રહેશે. પારકાની મા ગમે તેટલી સારી પણ મારી મા જેટલો
પ્રેમ મની નહી આપી શકે. તેને પણ તેનો પરિવાર છે.
જેમ માતા પિતા અને કુટુંબ આપણા પુણ્યથી મળે છે. તેમ પતિ,પત્ની
અને મિત્રો પસંદગી થી પ્રાપ્ત થતા જણાય છે. એ સત્ય છે કે મિત્રો છૂટાં પડી
શકે. પતિ અને પત્ની જો અનૂકુળ ન આવે તો પરિણામથી સહુ વિદિત છીએ.
કિંતુ કદી સાંભળ્યું કે માતા પિતાએ બાળકને પ્રેમ કરવો છોડી દીધો! હા, તેમાં
મનભેદ યા મતભેદ જરૂર હોઈ શકે. અરે ઘણીવાર વાતાવરણની અસરમા આવી
વિખૂટા પણ થાય. છતાંય પ્રભુ નું બનાવેલ આ હૈયાનું પ્રેમનું ઝરણું વહેતું જ રહે.
તેમાં ભરતી ઓટ આવે યા વિરાનગી. પ્રસંગ આવે એ પાછું ખળખળ વહેવા માંડે.
તેથી જ તો કુદરતની અકળ લીલા કળાતી નથી.
ક્યાંક વાંચ્યું હતું પસંદગીની વસ્તુ માટે પુણ્યથી મળેલ વસ્તુને ઠુકરાવશો
નહી. કેટલું સત્ય આ પાછળ ગર્ભિત છે. યુવાનીમા મદહોશ માનવ ઘણીવાર
આ વાત વિસારે પાડે છે. ખેર, અને જાગે છે ત્યારે કોઈક વાર ખૂબ મોડું થઈ
ગયું હોય છે. જો સમયસર ચેતે તો આપણે સહુ જાણીએ છીએ કે ‘ સુબહ કા
ભૂલા જબ શામકો ઘર આતા હૈ તો ઉસે ભૂલા નહી કહેતે.’
એકબીજાને સમજવામા આપણે કેમ થાપ ખાઈએ છીએ. ઘણીવાર તેમાં
સંજોગો ખૂબ અગત્યનો ભાગ ભજવતા હોય છે. દરેકે દરેક વ્યક્તિ ની પરિસ્થિતિ
અલગ અલગ હોવાને કારણે કોઈ એકજ માર્ગ સાચો ન કહી શકાય. તે છતાંય
દરેક સમસ્યાનો હલ મુમકીન છે. જીવનમા અસંભવ યા અશક્ય બે શબ્દો ને
શબ્દકોષમાંથી ફારગતિ આપવી જોઇએ તેવા મતની હું છું.
વહાલા, બોલતાં મોઢું ભરાઈ જાય અને આંખોમા ચમક પ્રસરી જાય. બેશક
વહાલાના આંચળા નીચે ભેડિયા નથી ને તેની સાવચેતી જરૂરી છે. કોઇ પણ નાની
યા મોટી વ્યક્તિ તેનો શિકાર બની શકે છે. સજાગતા અને વિવેક બુધ્ધિની ખૂબ
આવશ્યક્તાનો ત્યાં ખપ પડે છે. ઘડીના છઠ્ઠા ભાગમાં વહાલા વેરી બની શકે છે.
ત્યારે એવી સ્થિતિનું નિર્માણ થાય છે કે સ્નેહનુ ઝરણું સુકાઈ જાય છે. એવી મૃતઃ
પ્રાય પરિસ્થિતિ સર્જાય છે જે ફરીથી સજીવ થવા શક્તિમાન બનતી નથી . બધા
પ્રયત્નો પોકળ નીવડે છે.
આ ખરેખર વિચાર માગી લે તેવી વાત છે. અણમોલ માનવ જન્મ એળે ન
જાય તેથીજ તો આ પ્રશ્ન વિશે ચિંતન ચાલુ કરીએ——–