ખતમ.
માનવ સહજ સ્વભાવ છે સામી ભૂલ તો બ્રહ્માથી પણ થાય. કેટલું વિચિત્ર છતાંય સત્ય
કથન છે. ભૂલોની સજા ફાંસી એ ખૂબ સરળ છે.ક્ષણે ક્ષણે
મરવું,આચરણ યા વાણીનાં પ્રહાર દ્વારા મારવું તેના કરતા એક
ઘા ને બે કટકા.બસ ખેલ વ્યક્તિનો રાઈ જેવડો ગુન્હો પર્વત
જેવો દર્શાવવો.તેનું દિલ, તેનો પ્યાર, તેની ચાહ ને અવગણવા.
સ્વાર્થમાં રચીપચી રહેતી વ્યક્તિ સાનભાન ગુમાવી બેસે છે. જ્યારે
ભાન થાય આંખ ખૂલે ત્યારે ખૂબ મોડું થઈ ચૂક્યું હોય છે.
અંતરઆત્મા કદી જૂઠું બોલતો નથી. પીળા ચશ્માં પહેરીએ તો જગત
પીળું દેખાય તે હકીકત છે. નરી આંખે કુદરતનાં સૌંદર્યનું પાન થઈ શકે.
આત્મા પરમાત્માનો અંશ છે, જ્યારે આત્મા દુભાય ત્યારે પરમાત્માને કસક
ઉઠે છે. સ્વાર્થના પડળ માનવીની પિછાણ કરવામાં બાધા રૂપ થાય છે. અને
જીવતાં ન પહેચાની શકવાનો અફસોસ રહી જાય છે. મર્યા પછી તેનાં ગુણગાન
ગાવાનો શો ફાયદો?
દરેક વ્યક્તિ ને પોતાની ફૂટપટ્ટીથી ન મપાય. તેનાં પગરખાંમાં પગ નાખીએ
ત્યારે ખબર પડે તે ક્યાં ચૂભે છે. રખે ફરિયાદ કરતાં આખો વખત ફિલસૂફી વાળું
જીવન ના જિવાય. હા વાત તદ્દન સાચી છે. રોજરોજ બનતી ઘટના પ્રત્યે સજાગ
રહેવું, તેને નિહાળવી એ મુશ્કેલ કામ નથી.
નાનું બાળક શીખવા પ્રયત્ન કરે, વડીલ યા શિક્ષક પાસેથી માર્ગદર્શન મેળવે
પછી તે દાદું થઈ જાય. મનવીની આ સ્વભાવ સહજ નિર્બળતા છે. ગરજ મટીને
વૈદ વેરી.
મન અતી ગહન છે. માનવીનું મન ઈશ્વર કળવામાં અસમર્થ છે તો બે પગાં
માનવનું શું ગજું.તે તેના ગજાં બહારની વાત છે.પ્રયત્નો કરીશું પણ તે હવામાં
બાચકાં ભરવા પૂરવાર થશે.આ જન્મ પ્રુથ્વી પર ભૂલથી નથી મળ્યો. તેમાં
કિરતારનું જરૂર કોઈ પ્રયોજન છે.કીંતુ ભૂલોની પરંપરા ચાલુ રહેવાની. ભૂલો થાય
સુધરે, નવી નવી ભૂલો થાય, એની એ ભૂલ ફરી થાય. તેનાથી જીવનમાં
હલચલ મચે, સમય વહેતો જાય અને વર્તમાનકાળ છાવરી જાય.
જીવન બને તેટલું સીધું અને સરળ રાખવું. પ્રયત્નો જારી રાખવાં. સરજનહાર
પર શ્રદ્ધા રાખી જીવન જીવવું. સમય આવે તે તમને સહાય કરશે.આંગળી ઝાલશે,
પાટું મારવાને બદલે હૈયાં સરસો ચાંપશે.
ભૂલ કેવો સુંદર શબ્દ છે. ભૂલ થાય ભૂલી જાવ. યાદ રાખશો તો ફાયદા કરતાં
નુક્શાન ઘણું છે. ભૂલોને યાદ રાખી તેને દોરામાં પરોવી તેની માળા બનાવવી
તેનાં કરતાં તેની બાદબાકી જીવન સુંદર બનાવવામાં કામયાબ થશે.